Search This Blog

Friday, November 13, 2009

તારા પ્રેમમાં હું; મારા પ્રણયમાં તું..



મારા શ્વાસમાં તું... મારા વિશ્વાસમાં તું...
તારા પ્રેમમાં હું; મારા પ્રણયમાં તું...

નિંદ અને સપનમાં તું; દિવસ અને રાતમાં તું
ક્ષણ થી લઈ યુગમાં તું; અલ્પથી લઈ પુર્ણમાં તું.

યોગમાં અને સંયોગમાં તું; જોગમાં અને ભોગમાં તું.
લોક અને પરલોકમાં તું; ગીતમાં અને શ્લોકમાં તું

રાગ અને મોહમાં તું; માયા અને લોભમાં તું
દિવ્ય અને ભવ્યમાં તું; કાવ્ય અને હાસ્યમાં તું

મારી નિષ્ઠા તું... મારી પ્રતિષ્ઠા તું...
તારા પ્રેમમાં હું; મારા પ્રણયમાં તું...

:: સપન ::
૧૪.૧૧.૦૯

Thursday, October 29, 2009

તારી યાદ...


યાદ તારી આવે એ માટે બહાનાની જરૂર નથી.
તને યાદ કરવા કોઈ ખાસ દિવસની જરૂર નથી.
એક શ્વાસ લઊં ને તું યાદ આવી જ જાય છે...
તને ભુલવા મારે ફક્ત શ્વાસ લેવાની જરૂર નથી.

:: સપન ::
૨૭.૧૦.૦૯

Friday, October 23, 2009

ડાઘ રહી જાય છે..


ઘડીયાળની રેતની જેમ સમય સરી જાય છે.
હ્રદય પર પડેલા ઝખમના ડાઘ રહી જાય છે.

સાગરને મળવા નીકળી છે અલ્લડ નદી
ક્યારેક ઝરણુ બનતી એ અલ્લડ નદી
ક્યારેક પત્થરને સ્પર્ષતી એ અલ્લડ નદી
પત્થરને પણ પ્રેમમાં પાડતી અલ્લડ નદી

નદી તો બસ પોતાની જ રાહ પર વહેતી જાય છે.
પણ એના નિશાન તો પત્થર પર પણ રહી જાય છે.

ઘડીયાળની રેતની જેમ સમય સરી જાય છે.
હ્રદય પર પડેલા ઝખમના ડાઘ રહી જાય છે.

:: સપન ::
23-10-2009

Monday, August 24, 2009

આ શ્વાસ છે...


આ શ્વાસ છે..
જિવનની અંતીમ આશ છે.
પ્રાણ તણો જેમાં વાસ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
મૃત્યુ પહેલાંનો વિશ્વાસ છે.
અંત પહેલાની આશ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
એક અનંત આભાશ છે.
ફુલોમાં તે સુવાસ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
શરીર જેનું દાસ છે.
ધડકન માટે ખાસ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
શરણાઈનું જે સંગીત છે.
બાંસુરીનું જે ગીત છે.. આ શ્વાસ છે..

આ શ્વાસ છે..
પ્રણયનો જેમાં ફાગ છે.
પ્રેમનો જેમાં રાગ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
વિરહમાં તે આહ છે.
દુઃખમાં તે દાહ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે.
ક્યારેક તુટતો.. ક્યારેક ખુટતો આ વિશ્વાસ છે.
મૃત્યુની ક્ષીતીજ પર પથરાતો ઉજાસ છે.. આ શ્વાસ છે.

:: સપન ::
૧૫-૦૯-૨૦૦૮

તારા પર છવાઈ જવાની ઈચ્છા છે....



તારી આગોશમાં સુઈ જવાની ઈચ્છા છે
મને તારામાં સમાઈ જવાની ઈચ્છા છે.

વરસાદનું મોતી બનીશ તો કોઈ લઈ જાશે;
બુંદ બની સાગરમાં ખોવાઈ જવાની ઈચ્છા છે.

તારાથી અલગ મને કોઈ કરી નહી શકે...
તારો બની તારામાં વિણાઈ જવાની ઈચ્છા છે.

દિલથી નિકળેલા થોડા શબ્દો લખ્યા છે મે..
તારી શાયરી બની વંચાઈ જવાની ઈચ્છા છે.

દિલથી ધડકન સુધી.. યાદથી "સપન" સુધી..
હવે તો બસ તારા પર છવાઈ જવાની ઈચ્છા છે.

:: સપન ::
૦૮-૧૨-૨૦૦૮

Saturday, August 1, 2009

બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી..


:: મુળ રચના ::

યાદ તારી નજર ધુંધળાવી જાય છે,
મારું વિશ્વ આમ જ ઝંખવાઈ જાય છે.
ચાલ,
આજે એક વ્યવહારીક રસ્તો વિચારી લઉં,
તું ના મળે ત્યાં સુધી તારી બાધા લઈ લઉ..!!!!!

અહીં નાયિકા તેનાં પ્રિયતમને અનહદ યાદ કરે છે…એનાં કરતાં એમ કહેવું વધુ સારું કે પ્રિયતમ બહુ યાદ આવી જાય છે.એટલી હદ સુધી કે એની યાદ આંખમાંથી આંસુ બનીને વહેવા લાગે છે અને ઘેલી પ્રેમિકા ને આખું વિશ્વ ફીકું -ફીકું લાગે છે,રંગવિહિન.કોઈ જ આશાનું કીરણ નથી એની સામે પ્રિયને મળવાનું.ઓહ..લાચારીની ચરમસીમા..!! જ્યાં જ્યાં જોવે છે ત્યાં એમની મુલાકાતોની મીઠી મધુરી યાદો જ ભરેલી છે.ભુલવું એ તો અશક્યતાનો બીજો છેડો છે જાણે.કોઈ જ રસ્તો ન સુઝતાં એ સાવ ગુમસુમ થઈને મનમાં ને મનમાં હિઝરાતી બેઠી છે.છેલ્લે દુનિયાદારી ના વિશ્વમાં પ્રવેશે છે અને અંતિમ ઉપાય તરીકે જાત સાથે એક સમાધાન કરે છે કે જેને ભુલવા અશક્ય હોય ત્યાં એક બાધા લઈ લેવા દે પ્રિયતમને કહે છે કે, ” તું નહી મળે ત્યાં સુધી તારી જ બાધા…!!”
મિત્રો, આ તો દિલની દુનિયા છે.ઇશ્વર પણ ચકરાઈ જાય આવી પ્રેમસભર બાધા સાંભળીને. એ ખુદ પણ નીચે આવવા માટે મજબૂર થઈ જાય આ પ્રેમઘેલાં વ્યવ્હારિક રસ્તાથી……પ્રેમથી કોઈ કામ અસંભવ નથી.

સ્નેહા-અક્ષિતારક.
૩૧,જુલાઈ.૨૦૦૯.
રાત્રિનાં ૯.૦૦

http://akshitarak.wordpress.com

=====================================================
:: ઉપરોક્ત રચના મારી આ રચનાની પ્રેરણા સ્રોત છે ::
:: પ્રિયતમ તરફથી નાયિકાને પ્રત્યુત્તર ::
=====================================================

અનંત સમયમાં શોધુ છું તને, પણ તુ તો ક્યાંય જડતી નથી…
બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી..

ના મળુ તને એવી મારી ઈચ્છા નથી…
અરે, તારા વિના તો મારી કોઈ પૃચ્છા નથી…
ઓળખાણ મારી તું જ છે, એ તું ક્યાં જાણતી નથી ??
બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી..

ઝંખવાઈ જતા આ વિશ્વને તું મારી નજરથી પણ ક્યારેક જો…
તારી યાદથી ધુંધવાઈ જતા મારા હ્રદયને પણ ક્યારેક જો…
વ્યથા ફક્ત તારા એકલી ના હ્રદયને જ પીડતી નથી…
બાધા લીધી તે મારી જ્યારથી, મને બીજી કોઈ બાધા નડતી નથી..

:: સપન ::
૦૧.૦૮.૦૯
=====================================================
અહીં નાયીકાની બાધાની જ્યારે તેના પ્રિયતમને જાણ થાય છે ત્યારે તેનાં પ્રત્યુત્તર રૂપે
આ એ પ્રિયતમનો જવાબ છે.
=====================================================

ઉપરોક્ત રચના સ્નેહાજીની જાણ બહાર જ રચાઈ હતી અને અહીં પોસ્ટ થઈ હતી. પ્રત્યુત્તર માટે બનાવેલી આ રચનામાં જાણતાં-અજાણતાં એમના શબ્દો અને પંક્તિઓનો ઉપયોગ થઈ ગયો.

જેનું તેઓને મનદુઃખ થયુ છે. જે બદલ હું એમનો ક્ષમાપ્રાર્થી છું..

:: સપન ::
૦૪:૦૮:૦૯

Wednesday, July 29, 2009

મારે મોતમાં મહાલવું છે...


જીંદગીને ઘણી જીવી, હવે મારે મોતમાં મહાલવું છે.
દુનિયાને ઘણી દિઠી, હવે મારે ભિતરમાં ડોકાવું છે.

આ ઘટાટોપ છાયા થી મન ભરાઈ ગયું છે,
હવે મારે તન તડકામાં તપાવવું છે.
સ્વર્ગની આ સુખ સાહ્યબી સહન નથી થતી,
હવે મારે થોડુ નર્કનું દુઃખ વેઠવું છે.

ફુલોની સેજ પર ઉંઘ આવતી જ નથી,
હવે મારે કાંટા પર પથરાઈ જવું છે.
લોકો માટે ખુબ સારો બની રહ્યો છું હું,
હવે મારે થોડ બુરા બની જવું છે.

બર્ફની આ ઠંડકથી થીજી ગયો છું હું,
હવે મારે થોડું આગમાં શેકાઈ જવું છે.
સપન તારી કલમને હવે રોકી દે,
એને પણ હવે થોડું સુકાઈ જવું છે.

:: સપન ::
૧૧.૦૪.૨૦૦૯

Monday, June 15, 2009

આ મૌનના વાક્યો છે.


આ મૌનના વાક્યો છે અને કોરા કાગળના શબ્દો છે.
તમે સમજી શકો તો સમજો, આ સાદગીનો દબદબો છે.

આ ગીચતાની એકલતા છે, આ શાંત એવી ચંચળતા છે.
તમે સમજી શકો તો સમજો, આ કાચી ઉમરની પરિપક્વતા છે.

આ મુક્તિ ભરેલું બંધન છે, આ ખુલ્લી આંખનું સપન છે.
તમે સમજી શકો તો સમજો, આ બધું જ કહેતો દર્પણ છે.

આ સ્પષ્ટ સમજાતી ભ્રમણા છે કે ભ્રમીત કરતી સ્પષ્ટતા છે.
તમે સમજી શકો તો સમજો, આ ખોટી રીતે કહેવાયેલી સત્યતા છે.

આ શુદ્ધ નિર્મળ હેમ છે, આ ઈશ્વરની અદભુત દેન છે.
તમે સમજી શકો તો સમજો, આ મે તમને કરેલો પ્રેમ છે.

::સપન ::
૧૭.૧૨.૨૦૦૮

Sunday, May 17, 2009


લખું ઝાકળથી પત્ર, પણ તમે તડકામાં ખોલો તો.
કહું મૌનના વાક્યો, પણ તમે ઘોંઘાટમાં સાંભળો તો.

હું પ્રેમથી મનાઊં તમને, પણ તમે નફરતથી ના રૂઠો તો.
હું તમને તસ્વીરમાં સજાવું, પણ તમે રંગોમાં સમાઈ જાઓ તો.

હું તમને ફુલોથી શણગારૂં, પણ તમે સુગંધમાં પ્રસરો તો.
હું તમને આયનામાં ઊતારૂં, પણ તમે છબીમાં રહો તો.

હું તમને મારા પ્રાણ બનાઊં, પણ તમે મારી આત્મા બની જાઓ તો
હું તમને મારા સપનમાં સજાવું, પણ તમે મારા નયનમાં વસી જાઓ તો

:: સપન ::
૧૦.૦૫.૦૯

Thursday, March 12, 2009



એક વાર સૃષ્ટીના રચયીતા મારા પર પ્રસન્ન થયા
"સપન, માંગ... માંગ... માંગે તે આપું.."
મે કહ્યુ "તમારી સૌથી સુંદર રચના બનાવીને આપો."
તરત જ એમણે કામ શરૂ કર્યું.....

ધરતી પાસેથી એમણે ગંભીરતા લીધી
અને ઝરણા પાસેથી ચંચળતા...
કોયલ પાસેથી એમણે કંઠ લી઼ધો
અને હંસ પાસેથી સુંદરતા...
સુર્ય પાસેથી એનો ઉજાસ લીધો
અને ચંદ્ર પાસેથી શીતળતા....
મોર પાસેથી એમણે કળા લીધી
અને ફુલ પાસેથી કોમળતા....
સાગર પાસેથી એમણે ગહેરાઈ લીધી
અને હિમાલય પાસેથી ઉત્તુંગતા....
પવન પાસેથી એમણે પ્રેમ લીધો
અને મદીરા પાસેથી મદહોશતા....
વૃક્ષ પાસેથી એમણે સાધના લીધી
અને ડાળીઓ પાસેથી લચકતા....
ભમરા પાસેથી એમણે ગુંજન લીધુ
અને બુલબુલ પાસેથી શરમાળતા...

આ બધાને ઉમેરી રચયીતાએ એક ભેટ તૈયાર કરી...
અને જુઓ... મિત્ર તરીકે તમે મને મળી ગયા....

=: સપન :=
૧૩.૦૩.૨૦૦૯

Monday, January 5, 2009

ભગવાન ક્યાં છે???

સૌથી પહેલા એ સમજીએ કે ભગવાન શું છે??

શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી મહાવીર, શ્રી મહાદેવ, શ્રી વિષ્ણુ, શ્રી સાંઈ વિગેરેને આપણે હમણાં ઉત્તમ આત્મા માની પરમાત્માના સ્થાને મુકીએ. તેઓ ભગવાન છે, તેઓ મહાન છે, એની ના નથી પાડતો પણ આ એક સમજણ ખાતર હાલમાં આપણે આમ જ ધારીએ. તો ભગવાનની વ્યાખ્યા શું કરશો??

મિત્રો..
મારા મત મુજબ..

જ્યારે તમે જન્મો છો ત્યારે તમને પોતાના પેટમાં નવ મહીના સુધી સાચવી રાખનાર "મા" એ ભગવાન છે. તમારી નાની નાની જરૂરીયાત માટે તનતોડ મહેનત કરનારા તમારા "પીતા" એ ભગવાન છે. તમને ગેરમાર્ગે જતાં રોકનાર તમારા વડીલો એ ભગવાન છે. તમને સાચુ શીક્ષણ આપનાર તમારા ગુરૂ એ તમારા ભગવાન છે. કોઈ અજાણ્યાએ તમારી બેકારી દરમ્યાન તમને રોજી રોટી માટે નોકરી આપી તો એ ભગવાન છે. કપરા સમયમાં તમારી મદદે પહોંચનાર તમારા મિત્ર એ ભગવાન છે. ટુંકમાં દરેક ઉપકારી એ તમારા ભગવાન છે.

આ સીવાય..

બે દિવસ સુધી ભુખ્યા માણસને જ્યારે કોઈ વ્યક્તિ પેટ ભરીને જમાડે છે ત્યારે એ ભુખ્યો માણસ જમાડનારને ભગવાન કહેશે. પેટ ભર્યા પછી એની સજળ આંખોમાં જ તમને જમાડનાર પ્રત્યેની એની અનન્ય ભક્તિ જોવા મળશે.

શીયાળાની ઠંડીમાં થીજાતા અને ફુટપાત પર સુતાં ગરીબને જ્યારે જ્યારે કોઈ ધાબળો ઓઢાડે છે ત્યારે એ ગરીબ માણસ મનમાં એમ માને છે કે જાણે એને માટે ભગવાન આવ્યા.

શું આવી વ્યક્તિઓને તમે ભગવાન નહી કહો?? હું તો કહીશ દાન કરતાં દરેક હાથ એ ભગવાન છે.

તો પછી ઉપર જે નામ લખ્યા એ કોણ છે?

એ બધાં પણ ભગવાન જ છે. એ દરેક આધ્યાત્મની સિમાઓ મેળવી ચુકેલી આત્મા છે. આ એવા ઉત્તમ આત્માઓ છે જેમણે અન્ય આત્માઓને સદ્કાર્યો કરવા પ્રેર્યા છે. અથવા એમ કહો કે આ આત્માઓ એ મનુષ્યમાત્રને આધ્યાત્મનો ઉત્તમ માર્ગ બતાવનાર આત્મા છે. આમ તેઓ સંપુર્ણ મનુષ્ય જાતીના ઉપકારક એવા ભગવાન છે.

જૈન શાષ્ત્રો પ્રમાણે વાત કરૂં તો...

દરેક આત્મા પરમાત્મા બની શકે છે. દરેકની અંદર મોક્ષ મેળવવાની શક્તિ રહેલી છે. આપણે મોક્ષ એટલે નથી મેળવી શક્તા કારણ કે આપણા જ કરેલા દુષ્કાર્યો આપણને નડે છે. આપણા દુષ્કાર્યો એ તરવાનો સ્વભાવ ધરાવતાં લાકડા પર લાગેલો એવો મેલ છે જે એ લાક્ડાને ડુબાડી દે છે. શાષ્ત્રો કહે છે કે તમે પણ ભગવાન બની શકો છો. જરૂર છે ફક્ત તમારા દુષ્કાર્યોને દુર કરવાની.

મિત્રો....

ભગવાન શું છે એનો ખ્યાલ તો તમને આવી ગયો હશે... હવે મુળ સવાલ ભગવાન ક્યાં છે???

ઉપર જે નામ લખ્યા છે એ દરેકે કહ્યુ છે કે ભગવાન તો તમારી આસપાસ જ છે તમારે જરૂર છે એને ઓળખવાની.

તો આપણે ભગવાનને ઓળખશું કઈ રીતે?? એનો પણ એક સરળ રસ્તો છે.

તમે જ્યારે કોઈ ભિખારીને પચાસ પૈસા આપતો હાથ જુઓ તો સમજજો એ ભગવાન છે.
જ્યારે તમે કોઈ માતા કે પિતાને પોતાના પુત્રના માથે વ્હાલથી હાથ ફેરવતાં જુઓ તો સમજજો કે એ ભગવાન છે.
જ્યારે તમે ભરઉનાળે બપોરના સમયે રસ્તા પર જતાં હોવ અને છાંયડા માટે તમને એક વૃક્ષ મળી જાય તો સમજજો એ વૃક્ષ ભગવાન છે.
એક્સીડેન્ટ થયો હોય ત્યારે ઈજા પામેલી વ્યક્તીને ઉઠાવનાર હાથ એ ભગવાન છે.
પગ છોલાઈ ગયો હોય અને સખત લોહી નિકળતું હોય ત્યારે પાટો બાંધનાર હાથ એ ભગવાન છે.
અરે!! તમને તરસ લાગી હોય અને તમને કોઈ પાણી ધરે તો સમજવું એ હાથ ભગવાન છે.

ભગવાન ગરમી લાગતી હોય ત્યારે પંખામાંથી વહેતા પવનમાં છે. રડવું આવતું હોય ત્યારે સાંત્વના બનીને નિકળેલા શબ્દોમાં છે. સૌથી સુંદર અહેસાસ એવા પ્રેમમાં ભગવાન છે.

હવે એક નવો સવાલ. અગર ભગવાન આટલી બધી જગ્યાએ છે તો મંદિર કે દેરાસર જેવા સ્થળોએ જવાની શી જરૂર??

હા, જરૂર છે. કારણ કે ત્યાં જે પ્રતિમાઓ છે એ પ્રેરણા સ્ત્રોતો છે. એમને જોતાં, એમની સ્તવના કરતાં કે એમની પૂજા કરતાં આપણા મનમાં એમના જિવન ચરિત્રની વાતો આવે છે. જે આપણને સદ્કાર્યો કરવા પ્રેરે છે. કૃષ્ણએ કાલીનાગને નાથ્યો કે મહવીરે ચંડકૌષીક નાગને ક્ષમા અને સમજણ આ.પી એવા પ્રસંગો ઉપર બનેલા ગીતો કે સ્તવનો જ આપણને જીદગીની ગુથ્થીઓ ઉકેલવામાં મદદ કરે છે.

એક નાનકડી વાર્તા
દર્શન અને મનન સાથે મંદિરે જાય છે. સોમવાર હોવાથી મહાદેવના મંદિરમાં ખુબ ભિડ હોય છે. ભિડ જોઈ મનન દર્શનને કહે છે "ચાલ પાછા જઈએ.. ખુબ ભિડ છે."
દર્શન : "અરે અહી સુધી આવીને પાછા કેમ જવાય."
મનન: " તો જા તું જઈ આવ. હું અહી બાગમાં આંટો મારીશ"
દર્શન : "ઠીક છે."

આમ દર્શન મંદિરમાં જાય છે અન મનન બાગમાં આંટો મારે છે. બાગમાં આંટો મારતાં મારતાં મનનને એક સોનાનો અછોડો મળે છે. અને દર્શન જ્યારે પાછો ફરી ચંપલ પહેરવા જતો હોય છે ત્યારે તેના ચંપલમાં બેઠેલો વિંછી એને ડંખી જાય છે.

ડંખને કારણે બન્ને મંદિરના ઓટલે ભેગા થઈને બેસે છે. ત્યારે મનન કહે છે. "અડધો કલાક સુધી આટલી લાંબી લાઈનમાં ઉભો રહી તે દર્શન કર્યા તો તને વિંછી નો ડંખ મળ્યો. અને જો હું બાગમાં આંટો મારતો રહ્યો તો મને આ અછોડો મળ્યો. જે ભગવાનને ભજવા તે તારાં પગ દુખાડ્યા તેણે તને ડંખ અપાવ્યો તો પછી આવા દર્શન કરવાનો અને આવા ભગવાનને ભજવાનો શું ફાયદો?"

બન્નેની વાત બાજુમાં બેઠેલા એક સાધુ મહાત્મા સાંભળતાં હતાં. તેણે મનનના ખભે હાથ મુકી કહ્યુ.

"બેટા મનન, તું જે વાત કહે છે તો તેનો જવાબ સાંભળ. આજે આ દર્શનના ભાગ્યમાં મૃત્યુ યોગ લખ્યો હતો. પણ એણે આજે ભગવાનને ભજ્યા તેથી તે મૃત્યુ યોગ વિંછીનાં ડંખથી ટળી ગયો. અને તારા ભાગ્યમાં આજે ખુબ મોટો લક્ષ્મી યોગ હતો. પણ તે અહી સુધી આવીને ભગવાનના દર્શન-ભજન છોડી બાગમાં ભટકતો રહ્યો તેથી તારે હવે આછોડાથી જ સંતોષ માનવાનો છે. હવે મને કહે કે આવા દર્શન-ભજનનો શું ફાયદો??"
=====================
શુભમ ભવતુ... અસ્તુ....
=====================